આગામી 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દેશભરમાં ઉત્સાહ સાથે મનાવવામાં આવશે. દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ તહેવારને ભારતીય સંસ્કૃતિમાં ભાઇ-બહેનના સંબંધનો સૌથી સુંદર, પવિત્ર અને ભાવનાત્મક પ્રતિક માનવામાં આવે છે. આ પર્વ માત્ર રેશમના દોરા સુધી સિમિત નથી, પરંતુ તે વચન, પ્રેમ અને વિશ્વાસનો તહેવાર છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રાની છાયા નથી, એટલે બહેનો આખા દિવસમાં શુભ મુહૂર્તમાં પોતાના ભાઇને રાખડી બાંધી શકશે. ચાલો જાણીએ કે રક્ષાબંધન 2025 પર રાખડી બાંધ માટે શુભ મુહૂર્તોનો સમય શું છે.
રક્ષાબંધન શબ્દ બે ભાગોથી બનેલો છે – રક્ષા અને બંધન, જેનો અર્થ સુરક્ષાનું બંધન છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, તિલક લગાવે છે, મોઢું મીઠું કરાવે છે અને તેમને લાંબા આયુષ્ય અને સુખી જીવનની શુભેચ્છા પાઠવે છે. ભાઈ તેમને ભેટ આપે છે અને વચન આપે છે કે તેઓ ગમે તે પરિસ્થિતિમાં હોય, જીવનભર તેમનું રક્ષણ કરશે. રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે. દેવી-દેવતાઓના યજ્ઞોમાં રક્ષાસૂત્ર બાંધવામાં આવતું હતું. આ તહેવાર દર વર્ષે ભાઈ-બહેનના સંબંધોને ફરીથી જોડવાનો અને સંકલ્પ લેવાનો અવસર છે. ઉપરાંત, આ તહેવાર કૌટુંબિક એકતા, સ્નેહ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપે છે.
શ્રાવણ પૂર્ણિમા 8 ઓગસ્ટના રોજ બપોરે 2:12 વાગ્યાથી શરૂ થશે, શ્રાવણ પૂર્ણિમા 9 ઓગસ્ટના રોજ બપોરે 1:24 વાગ્યા સુધીમાં સમાપ્ત થશે. ઉદિયા તિથિને ધ્યાનમાં રાખીને, રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025, શનિવારે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રા નથી, જે ખૂબ જ શુભ સંકેત છે. આ વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ભદ્રા સૂર્યોદય પહેલા સમાપ્ત થશે. ભદ્રા (ભદ્રકાળ)ને રાક્ષસી કાળ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય – જેમ કે યજ્ઞ, હોળી દહન, લગ્ન અથવા રક્ષાસૂત્ર બાંધવાની મનાઈ છે. પરંતુ આ વર્ષે બહેનો કોઈપણ સંકોચ વગર દિવસભર રાખડી બાંધી શકે છે. સ્કંદ પુરાણ અને પંચાંગમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી જોઈએ નહીં, ખાસ કરીને જો ભદ્રા પૂંછ અથવા મુખ પર હોય.
રક્ષાબંધન 2025ના એક દિવસ પહેલા એટલે કે 8 ઓગસ્ટના રોજ બપોરે 02:12 વાગ્યે ભદ્રા શરૂ થશે. 8 ઓગસ્ટના રોજ સવારે 01:52 વાગ્યે ભદ્રાનો અંત થશે. આનો અર્થ એ થયો કે રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પહેલા ભદ્રા સમાપ્ત થશે અને બહેનો 9 ઓગસ્ટના રોજ કોઈપણ ચિંતા વગર રાખડી બાંધી શકશે. 9 ઓગસ્ટના રોજ રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:47થી બપોરે 1:24 વાગ્યા સુધીનો છે. આ દિવસે રક્ષાબંધનનો શુભ સમય 7 કલાક 37 મિનિટનો છે. જોકે, રાહુકાળ દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. આ દિવસે રાહુકાળ સવારે 09:07થી 10:47 વાગ્યા સુધીનો છે.
DISCLAIMER
(અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત પાસેથી લેવામાં આવી છે. PrimeNetworkNews તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



