ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણી દરમિયાન ગંભીર ભૂલો કરવા બદલ સુરતના 300 શિક્ષકો પર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પેપર ચકાસણીમાં માર્ક્સની ગણતરીમાં બેદરકારી અને સરવાળામાં ભૂલોનો આરોપ લગાવવામાં આવ્યો છે. બોર્ડના જણાવ્યા અનુસાર, પુનઃમૂલ્યાંકન દરમિયાન આ ભૂલો સામે આવી હતી. ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓના જવાબો સાચા હોવા છતાં તેમને યોગ્ય માર્ક્સ આપવામાં આવ્યા ન હતા, જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામો પર અસર થઈ હતી. આવી બેદરકારીને ગંભીર ગણાવીને શિક્ષણ બોર્ડે શિક્ષકો વિરુદ્ધ આ કડક પગલું ભર્યું છે.
આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીના મુદ્દે ચર્ચા ઉભી કરી છે. બોર્ડે જણાવ્યું કે આવી ભૂલો ભવિષ્યમાં ન થાય તે માટે શિક્ષકો માટે વધુ કડક નિયમો અને તાલીમનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં પુનઃમૂલ્યાંકન પ્રક્રિયાને વધુ મજબૂત કરવાની પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ અને સારી ટકાવારી સાથે પાસ કરવા માટે વિદ્યાર્થીઓ રાત-દિવસ એક કરતાં હોય છે. તો વાલીઓ હજારો-લાખો રૂપિયાના ટ્યુશન પણ બંધાવતા હોય છે. આ બધા વચ્ચે શિક્ષકો બોર્ડના પેપરની ચકાસણીમાં ભૂલ કરે તે ખુબ જ ગંભીર બાબત છે. બોર્ડ સિવાયના ધોરણોમાં પણ આવી ભૂલો કરવામાં આવે તો પણ તેને ગંભીર ગણાવામાં આવે છે. તો પછી બોર્ડ પરીક્ષામાં મેળવેલી ટકાવારી મહત્વપૂર્ણ ગણાય છે, તેવામાં શિક્ષકો જ ચકાસણીમાં ભૂલ કરે તો વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે જ તેને સીધા ચેડા ગણવામાં આવવા જોઈએ. તેથી સુરતના 300 શિક્ષકોને રૂપિયા 2000 રૂપિયાનો દંડ ફટકારીને એક બાબતે તો શિક્ષણ વિભાગે પણ મજાક જ કરી છે. દેશનું ભવિષ્ય શિક્ષકો નક્કી કરતાં હોય છે, પરંતુ અહીં તો શિક્ષકો જ દેશના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યાં હતા. જે ગંભીર બાબત ગણી શકાય. શિક્ષણ વિભાગે ગંભીર ભૂલની નાનકડી સજા કરીને શિક્ષકોને સુધરવાની તક આપી છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



