રાજપીપળા, નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 19 ગામોના 250થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને તેઓ સુરક્ષિત તેમજ નિયમિત રીતે શિક્ષણ મેળવી શકશે.
ઈ-બસ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓથોરિટી વિસ્તારના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવાનો છે. ગોરા, બોરિયા, ગરૂડેશ્વર અને નવાગામ સહિતના પાંચ શાળાઓના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળશે. પ્રારંભિક દિવસે જ 180થી વધુ વિદ્યાર્થીઓએ આ સુવિધાનો ઉપયોગ કર્યો હતો.
પહેલ અંતર્ગત દરરોજ સવારે 9 થી 10:30 અને સાંજે 4:30 થી 6 દરમિયાન એસી ઈ-બસ સેવા ઉપલબ્ધ રહેશે. કુલ 5 ઇલેક્ટ્રિક બસો આ સેવા માટે ફાળવવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક બસમાં તાલીમબદ્ધ ગાઈડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવી છે, જે મુસાફરી દરમિયાન બાળકોની સલામતી સુનિશ્ચિત કરશે.
પરિવહન સેવાથી વિદ્યાર્થીઓને શાળાએ સમયસર પહોંચવામાં મદદ મળશે, જેનાથી તેમના અભ્યાસમાં નિયમિતતા આવશે અને હાજરીમાં પણ વધારો જોવા મળશે. વિદ્યાર્થીઓનો શાળાએ પહોંચવાનો સમય બચશે, જેનો ઉપયોગ તેઓ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કરી શકશે. એસી બસમાં આરામદાયક મુસાફરી મળવાથી બાળકોનો ઉત્સાહ પણ વધ્યો છે. વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, હવે તેઓ સમયસર અને સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકશે અને અભ્યાસમાં કોઈ અવરોધ નહીં આવે.
આ નોંધપાત્ર પહેલથી વાલીઓએ શાળાઓ અને વહીવટીતંત્ર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સેવા માત્ર પરિવહન પૂરતી સીમિત નથી, પરંતુ દૂરના વિસ્તારોમાં રહેતા બાળકોના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આના પરિણામ સ્વરૂપ શાળાની હાજરીમાં વધારો અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં ગુણવત્તાપૂર્ણ સુધારો નોંધાઈ રહ્યો છે, જે ગ્રામીણ શિક્ષણ માટે એક સકારાત્મક સંકેત છે. આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને નાંદોદના ધારાસભ્યએ ઉપસ્થિત રહી બસ સેવાને પ્રસ્થાન કરાવ્યું હતું.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



