સુરતમાં સામૂહિક આપઘાતના પ્રયાસની વધુ એક ઘટના બની છે. બે બાળકો સાથે માતા દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેન આગળ પડતું મૂકતા માતાનું મોત નીપજ્યું છે. જ્યારે બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત બાળકોને સ્મીમેર હોસ્પિટલ દાખલ કરાયા છે. આ મામલે રેલવે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં હચમચાવે એવી ઘટના સામે આવી છે. ફરી એકવાર આપઘાતના પ્રયાસનો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, અગમ્ય કારણોસર એક 27 વર્ષીય મહિલા તેનાં બે બાળકો સાથે રેલવે સ્ટેશન પહોંચી હતી અને ટ્રેન આગળ પડતું મૂક્યું હતું. માલગાડીની આગળ પડતું મૂકતા માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બંને બાળક ગંભીર રીતે ઘવાયા છે. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. હાલ, બંને બાળક સારવાર હેઠળ છે.
આ ઘટનાને પગલે રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, 27 વર્ષીય માતા દ્વારા બાળકો સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કયાં કારણોસર કરવામાં આવ્યો તે હાલ જાણી શકાયું નથી. આ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતનાં કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગંભીર બીમારી, લગ્નેતર સંબંધો, આર્થિક સંકળામણ સહિતનાં કારણોસર લોકો મોતને વહાલું કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરતમાં જ જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક પિતાએ તેમના 3 વર્ષ અને 8 વર્ષના બે પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. જે તે સમયે આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નહોતું.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



