ભરુચમાં મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને જામીન માટે ભરૂચની સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જો કે ભરૂચ સેશન્સ કોર્ટે બંને આરોપીઓના જામીન ફગાવી દીધા છે. કોર્ટે મુખ્ય આરોપી હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયની જામીન અરજીને નામંજૂર કરી દીધી છે. સરકાર તરફના મુખ્ય સરકારી વકીલ પી.બી.પંડ્યાએ કરેલી દલીલો કોર્ટે માન્ય રાખી છે. હીરા જોટવાના વકીલે કહ્યું કે આરોપી હાર્ટ પેશન્ટ છે અને રાજકીય અગ્રણી હોવાથી રાજકીય રંગ આપવા આરોપી બનાવાયા હોવાની દલીલ કરી હતી.
તમને જણાવી દઈએ કે 24 જુલાઈએ આ કૌભાંડ મામલે પોલીસે ધરપકડ કરેલા અન્ય 4 આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી પણ કોર્ટે 1 દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. આ કૌભાંડમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) અને એક નિવૃત TDOની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે કૌભાંડમાં સંડોવાયેલા બે ટેકનિકલ આસિસ્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં મનરેગા યોજના હેઠળના કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. જેમાં સરકારી નાણાંની ઉચાપત, બોગસ કામો દર્શાવવા કે કામોની ગુણવત્તામાં કટકી જેવા આક્ષેપો તપાસનો વિષય બન્યા છે. પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવીને આરોપીઓ પાસેથી કૌભાંડ સંબંધિત વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. મહત્વનું છે કે, કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, નાણાં ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવ્યા અને કૌભાંડનો વ્યાપ કેટલો છે તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



